એક જ દાણા માંથી !
રાજસ્થાનના ડુગારી ગામમાં મેળો ભરાયેલો. ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું. ત્યાં ઘઉં ના સુધારેલા બિયારણનો નમૂનો રાખેલો, તેની પર રામનારાયણ નામના ખેડૂતની નજર પડી. તે લેવાનું એને મન થયું, પણ ખાતાના અધિકારીએ કહ્યું કે તે વેચવા માટે નથી. હતાશ થઈને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને ઊભો. થોડી રકઝક પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો – પણ એક જ દાણો !
એને મોંઘામૂલા રતન ની જેમ જાળવીને રામનારાયણ લઈ ગયો. પોતાના ખેતરની સારામાં સારી જગા પસંદ કરી, ત્યાં ખાતર નાખીને એ દાણો વાવ્યો. રોજ તેની કાળજી લેવા માંડ્યો. થોડા દિવસે અંકુર ફૂટ્યો. છોડ મોટો થવા લાગ્યો. અને આખરે તેની ઉપર ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. પાક લણ્યો ત્યારે, એક દાણો વાવેલો તેમાંથી પોણો રતલ ઘઉં નીકળ્યા ! રામનારાયણનું હૈયું હરખે ભરાઇ ગયું. એ ઘઉંની પોટલી સાચવીને પટારામાં મૂકી દીધી.
બીજે વરસે એ પોણો રતલ દાણા એણે પાછા વાવ્યા. વખત જતાં એના ખેતરમાં તેના છ – છ ફૂટ ઊંચા છોડ થયા. આસપાસના લોકો તે જોઈને અજાયબ થયા. આ વખતે તેર ગણો પાક ઉતર્યો ને દસ રતલ ઘઉં નીપજ્યાં. પછીને વરસે એ દસ રતલ વાવતાં તેમાંથી ત્રણ મણ ઘઉં પાક્યા – ઊંચી જાતના ત્રણ મણ ઘઉં
– મનોહર પ્રભાકર